પાકિસ્તાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તેમના કાર્યકાળ દરમિયાન કોઈ પગાર નહીં લે. દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે મંગળવારે આ જાહેરાત કરી હતી. રવિવારે પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનાર 68 વર્ષીય ઝરદારીની પાર્ટી PPPએ ‘X’ પર આ માહિતી આપી. પક્ષ તરફથી લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ સમજદાર નાણાકીય વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરવાનો અને રાષ્ટ્રીય આવક પર બોજ ન નાખવાનો નિર્ણય લીધો છે.
પૂર્વ રાષ્ટ્રપતિનો આટલો પગાર હતો
રાષ્ટ્રપતિની સચિવાલય પ્રેસ વિંગે મંગળવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય આવક પર બોજ ન પડે તે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પગાર ન લેવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને દર મહિને 8,46,550 રૂપિયાનો પગાર મળતો હતો, જેનો નિર્ણય સંસદે 2018માં કર્યો હતો. ઝરદારી પાકિસ્તાનના સૌથી ધનિક નેતાઓમાંના એક છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સહ-અધ્યક્ષ ઝરદારીએ રવિવારે ઈસ્લામાબાદના ઈવાન-એ-સદર ખાતે આયોજિત સમારોહમાં બીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
ગૃહમંત્રીએ પણ નિર્ણય લીધો હતો
આ સિવાય ઝરદારીના પગલે ચાલીને ગૃહમંત્રી મોહસિન નકવીએ પણ દેશ સામે ચાલી રહેલા આર્થિક પડકારોને ટાંકીને પગાર ન લેવાનો નિર્ણય કર્યો છે. નકવીએ ‘X’ પર લખ્યું કે તેઓ આ પડકારજનક સમયમાં દરેક સંભવ રીતે દેશની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સારી નથી. અહીં લોકોને રોજીંદી જરૂરિયાતો માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.